મોરબી: મોરબીમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા પૂર્વ ચેરમેનની નિવૃત્તિ સેરેમની સાથે નવા ચેરમેનની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શક્તિ મેડિકલ ગ્રૂપથી જાણીતા મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલાની નવા ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી, જેને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.
મોરબી સ્થિત દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે એસોસિએશનની જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં એસોસિએશનના પ્રમુખ કિરણભાઈ મહેશ્વરી, સેક્રેટરી જયેશભાઈ ટોલીયા, ટ્રેઝરર ભાવેશભાઈ મહેતા તેમજ કારોબારી સભ્યો નરેન્દ્રભાઈ પટેલ, અમિતભાઈ મહેતા, અશ્વિનભાઈ કડીવાર, ઘનશ્યામસિંહ જાડેજા, રાજુભાઈ મહેશ્વરી, નરેન્દ્રભાઈ રંગપરીયા સહિતના સભ્યો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પી. મહેતાની નિવૃત્તિ અને ત્યાર બાદ સંસ્થાના હોદ્દેદારોની સહમતિથી પૂર્વ ચેરમેન દિનેશભાઈ મહેતાએ નવા ચેરમેન તરીકે મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલાના નામની જાહેરાત કરી હતી, જેને તમામ સભ્યોએ હર્ષભેર આવકારી હતી.
પ્રસંગે દિનેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે મેઘરાજસિંહ ઝાલાએ સંસ્થામાં આઠ વર્ષ સુધી પ્રમુખ પદે સેવા આપી છે અને તેમના સહકારથી સંસ્થાના સંગઠનનો પાયો વધુ મજબૂત બન્યો છે. નવનિયુક્ત ચેરમેન મેઘરાજસિંહ ઝાલાએ સભ્યોને સંબોધતા કહ્યું હતું કે સંસ્થાના સ્લોગન “પરસ્પર પ્રેમથી પાંગરતો ભાઈચારો”ને અનુસરી સંગઠનની એકતા વધે તેવા કાર્યો અવિરત ચાલુ રાખીશ અને સંસ્થા માટે 24 કલાક તન, મન અને ધનથી કાર્ય કરવાની ખાતરી આપી હતી.
