મોરબી/હળવદ : તારીખ 9 મે 2026 શનિવારની વહેલી સવારે કચ્છ તરફથી માળિયા થઈ અમદાવાદ તરફ ગૌવંશને કતલના ઇરાદે લઈ જવામાં આવી રહ્યો હોવાની હકીકત માહિતી ગૌરક્ષક ટીમોને મળી હતી. માહિતીના આધારે મોરબી-હળવદ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી, કચ્છ અને ધાંગધ્રાના ગૌરક્ષકો દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.
માહિતી મુજબ નંબર GJ-27-TD-8780 વાળી આઈસર ગાડી માળિયા તરફથી આવતા ગૌરક્ષકોએ તેનો પીછો શરૂ કર્યો હતો. ગાડીચાલકે ઝડપથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ હળવદ પોલીસને કરવામાં આવતા પોલીસ અને ગૌરક્ષકોની ટીમે હળવદ સરા ચોકડી નજીક ગાડીને રોકી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ગાડીમાં ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરેલા અંદાજે 35 જીવતા ગૌવંશ મળી આવ્યા હતા. પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી ગાડી સાથે હળવદ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સ્થળ પર તાત્કાલિક પોલીસ પહોંચી જતા જીવને સુરક્ષિત રીતે બહાર કાઢી મહાજનમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ગૌરક્ષકોએ હળવદ પોલીસ પ્રશાસન અને અધિકારીઓના સહકારની પ્રશંસા કરી હતી.
આ સમગ્ર કામગીરીમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની, હળવદ, કચ્છ, ધાંગધ્રા અને વિરમગામની ગૌરક્ષક ટીમોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
