મહેસૂલી તલાટીઓને નિયત કામગીરી સોંપવા સૂચના, કામગીરીનું નિયમિત નિરીક્ષણ કરવા પણ આદેશ
મોરબી: મોરબી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા મહેસૂલી તલાટીઓની કામગીરી અને ફરજોને લઈને મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તા. 19 ઓગસ્ટ, 2026ના રોજ જારી કરાયેલા આ પરિપત્રમાં મહેસૂલ વિભાગના અગાઉના ઠરાવના સંદર્ભમાં મહેસૂલી તલાટીઓને નિયત થયેલી કામગીરી સોંપવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
પરિપત્રમાં મોરબી જિલ્લાના તમામ મહેસૂલી તલાટીઓને નિયમ મુજબ નિયત થયેલી કામગીરી સોંપવા તેમજ તેઓ દ્વારા સોંપાયેલી કામગીરી નિયમસર કરવામાં આવે છે કે નહીં તેનું નિયમિત નિરીક્ષણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
સાથે જ, અગાઉના ઠરાવમાં નિયત કરવામાં આવેલી કામગીરી સંબંધિત રેવન્યુ તલાટીઓ દ્વારા જ કરવામાં આવે છે કે નહીં તેની ખાતરી કરવા અને સમગ્ર કામગીરી પર નિયમિત દેખરેખ રાખવા પણ જણાવવામાં આવ્યું છે.
ફરજમાં બેદરકારી ન રહે તે માટે દેખરેખ
કલેક્ટર કચેરીના આ પરિપત્રથી મહેસૂલી તલાટીઓની ફરજો અને જવાબદારીઓ અંગે વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. નિયત કામગીરી યોગ્ય રીતે થાય અને કામગીરીમાં કોઈ ગેરરીતિ કે બેદરકારી ન રહે તે માટે સંબંધિત અધિકારીઓને સતત દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે.
આ પરિપત્ર બાદ હવે મોરબી જિલ્લામાં મહેસૂલી તલાટીઓ દ્વારા બજાવવામાં આવતી કામગીરીનું નિયમિત નિરીક્ષણ અને નિયત ફરજોનું પાલન થાય છે કે નહીં તેના પર તંત્રની વધુ નજર રહેશે.
