ઉતરાયણના તહેવાર દરમિયાન પતંગ કપાવવાની વાતો સામાન્ય માનવામાં આવે છે, પરંતુ મોરબીની રાજનીતિમાં આ વખતની ઉતરાયણ માત્ર તહેવાર નહીં, રાજકીય હિસાબ–કિતાબનો મેદાન બની ગઈ છે. ચર્ચાઓ મુજબ, ભાજપના એક નેતાની “પતંગ કપાવાની” સંભાવનાને લઈને મોરબીના કેટલાક નેતાઓએ ગાંધીનગરથી લઈ દિલ્લી સુધી ફોનના દોરા ઘુમાડવા શરૂ કરી દીધા છે.
મોરબીમાં ચાલી રહેલા આંતરિક વિવાદો વચ્ચે હવે નવાજૂનીના સ્પષ્ટ એંધાણો મળી રહ્યા છે. ઉતરાયણ પર જો કોઈ મોટા નેતાની પતંગ કપાઈ જાય, તો વર્ષોથી સાઈડલાઇનમાં બેઠેલા અને મહેનત કરતા કેટલાક નેતાઓ તરત જ બીજી પતંગ ચગાવવા તૈયાર બેઠા છે. આ નેતાઓ હાલ ખુલ્લેઆમ નહીં પરંતુ અંદરખાને પોતાની રાજકીય પાંખો ફેલાવતા જોવા મળી રહ્યા છે.
મોરબી ભાજપમાં જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. બંને ગ્રુપ દ્વારા તનતોડ મહેનત, સામસામે શક્તિપ્રદર્શન અને લોબીંગ ચાલી રહ્યું હોવાનું રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે. ઉતરાયણ બાદ સંગઠનમાં મોટા ફેરફારો થાય તેવી શક્યતાઓને લઈ અંદરખાને ગરમાવો વધી ગયો છે.
છેલ્લા લાંબા સમયથી મોરબી ભાજપ પ્રમુખને લઈને વિવાદો સતત વકરતા જઈ રહ્યા છે. ખાસ કરીને આર્થિક મુદ્દાઓને લઈને અનેક લોકો ભાજપ પ્રમુખ પાસે ઉઘરાણી માટે પહોંચી રહ્યા હોવાની ચર્ચા શહેરમાં ખુલ્લેઆમ થઈ રહી છે. આ પરિસ્થિતિ હવે એટલી ગંભીર બની ગઈ છે કે પક્ષના હાઈકમાન્ડ સુધી પણ આ બાબત પહોંચતા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
પક્ષની અંદરથી જ ઉઠતા સવાલો, જૂથવાદની ખાઈ અને નેતૃત્વ સામેના આક્ષેપો ભાજપ માટે મોરબીમાં મોટો માથાનો દુખાવો બની રહ્યા છે. હવે સવાલ એ છે કે
👉 ઉતરાયણ કોની પતંગ કપાશે?
👉 કોણ ચગાવશે નવી પતંગ?
👉 અને હાઈકમાન્ડ આ રાજકીય ગુંચવણને કઈ રીતે ઉકેલશે?
મોરબીની રાજનીતિમાં ઉતરાયણ બાદ મોટા ઉથલપાથલના સંકેત સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.
