ગુજરાત ભાજપમાં સંગઠન સ્તરે મોટા ફેરફારોની તૈયારી ચાલી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 5થી વધુ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખોને બદલવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા અને સુરેન્દ્રનગર જિલ્લાના વર્તમાન પ્રમુખોને પ્રદેશ ભાજપની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. પ્રદેશ ટીમમાં સામેલ થવાના કારણે હવે આ બંને જિલ્લાઓમાં નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે.
આ ઉપરાંત રાજકોટ, સુરત અને મોરબી જિલ્લાના પ્રમુખો સામે ફરિયાદો આવતા તેમને પણ બદલવામાં આવે તેવી સંભાવના છે. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા સામે નાણાકીય ગેરરીતિના ગંભીર આરોપો લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઠોલરિયા સામે ગોંડલ વિવાદને લઈને ફરિયાદ થઈ હોવાનું સૂત્રો જણાવે છે. જ્યારે સુરત મહાનગર ભાજપ પ્રમુખ પરેશ પટેલ આંતરિક જૂથવાદ અને સંગઠનાત્મક વિવાદોના કારણે બદલાઈ શકે છે.તે જ રીતે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સામે પણ જૂથવાદના આરોપો લાગ્યા છે, જેના કારણે તેમની જવાબદારીમાં ફેરફાર થાય તેવી ચર્ચા તેજ બની છે.
ભાજપ હાઈકમાન્ડ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આવનારી રાજકીય કામગીરીને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પાર્ટી તરફથી હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
