સરપંચ ગૌતમ હરજીવનભાઈ મોરડિયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી શહીદ વીરોને કર્યા વંદન
ગોર ખીજડીયા ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમ હરજીવનભાઈ મોરડિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશ માટે બલિદાન આપનાર શહીદ વીરોને વંદન કર્યા હતા.
આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ખાસ વાત એ રહી કે દેશભક્તિની સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. શાળા પરિસરને વિવિધ પ્રકારના ફૂલ-છોડ તેમજ વૃક્ષોના રોપાઓથી શણગારવામાં આવ્યું હતું. હરિયાળા વાતાવરણ વચ્ચે યોજાયેલા કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
શાળા પરિસરમાં તિરંગાના રંગો સાથે હરિયાળીનું સુંદર સંયોજન જોવા મળ્યું હતું. વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામજનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ઉજવણીમાં દેશભક્તિ અને પર્યાવરણ જતનનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે સંકલ્પ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી.
